ગાંધીજીએ બ્રહ્મચર્યના પાલનની વાત કરી હતી. આજના સમયમાં તો ભાગ્યે જ કોઈ આ વાતને સમજતું હશે અથવા તો માનતું હશે. બ્રહ્મચર્ય અંગે ઘણાં જ ખોટાં વિચારો લોકોના મનમાં ચાલતા હોય છે. બ્રહ્મચર્યને લગતો એક કિસ્સો હાલમાં જ સામે આવ્યો હતો, જેમાં પૂજારીને મહિલા-છોકરીઓ સ્પર્શ કરે તો તે બેભાન થઈ જાય છે.
ભોપાલમાં બેરસિયાના હનુમાન મંદિરના પૂજારીના મનમાં કંઈક એવું બેસી ગયું છે કે તે મહિલાઓ-છોકરીઓના સ્પર્શ માત્રથી બેભાન થઈ જાય છે. મંદિરના ભક્તોએ કહ્યું હતું કે બાબા દિવસ રાત હનુમાનજીની પૂજા કરે છે અને ભક્તિમાં લીન રહે છે. છેલ્લાં છ મહિનાથી પૂજારીના વ્યવહારમાં ફેરફાર થયો છે. ભક્તગણ પૂજારીને લઈ ભોપાલની જેપી હોસ્પિટલના મનોચિકિત્સક પાસે લઈ ગયા હતા.
જેપી હોસ્પિટલના ડૉક્ટર આર કે બૈરાગીએ કહ્યું હતું કે આ સામાન્ય સ્થિતિ નથી. સાઇકોલોજીમાં તેને કન્વર્ઝન ડિઓર્ડર કહેવામાં આવે છે. દર્દીને લાગે છે કે તેની અંદર કોઈ શક્તિ છે. લોકો તેની તરફ ધ્યાન આપે. આથી જ અનેકવાર માનસિક સ્થિતિઓને કારણે લોકો વિચિત્ર વ્યવહાર કરવા લાગે છે. જો કોઈ દાવો કરે કે તેનામાં કોઈ દેવી દેવતા આવે છે અથવા ભૂત પ્રેતની વાત કરે તો આવા લોકોને ડૉક્ટર પાસે લઈ જવા જરૂરી છે.
લોકોનું ધ્યાન પોતાના તરફે ખેંચવા આવી હરકતો કરે છેઃ ડૉક્ટરે વધુમાં કહ્યું હતું કે ઘણીવાર જોવામાં આવ્યું છે કે કેટલાંક લોકોની ઈચ્છા પૂરી થઈ હોતી નથી. આથી તે ભક્તિ તથા ધાર્મિક અનુષ્ઠાન કરે છે. પછી એક એવી સ્થિતિ આવી જાય છે કે તેને લાગે છે કે તેનામાં કોઈ શક્તિ આવી ગઈ છે. તે લોકો ધ્યાન ખેંચવા માટે આવી હરકતો કરવા લાગે છે.
જરૂર કરતાં વધુ પૂજા-પાઠ નોર્મલ નથીઃ ડૉક્ટરે વાત કરતાં કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ સામાન્ય કરતાં વધુ કોઈ કામ કરે તો તેને અવગણશો નહીં. સામાન્ય રીતે 10-15 મિનિટથી વધુ પૂજા પાઠ કરવી, કલાકો સુધી મંદિરમાં બેસવું, વધુ પડતી સાફ સફાઈ કરવી, જાત સાથે વાત કરવી… જો કોઈ આવું કરે તો તે સામાન્ય સ્થિતિ નથી. તેને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવી.