અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં મોડી રાતે 3:30 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યાં છે જેમાં 5 પુરૂષ અને ત્રણ મહિલાના સમાવેશ થાય છે. જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે, આ આગની ઘટના શોર્ટસર્કિટને કારણે લાગી હતી. કેટલાક લોકો દાઝ્યા છે તો કેટલાકનો શ્વાસ રૂંધાવાના કારણે જીવ ગયો હોવાનું સામે આવી રહ્યું છે. આગ લાગી ત્યાર બાદની તસવીરો જોઈને તમે પણ રડી જશો.
હોસ્પિટલમાં આગ લાગી હોવાના સમાચાર જેમ જેમ વહેતા થયા તેમ તેમ સગા-સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. હોસ્પિટલની બહાર આંસુની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં હતાં. એક સમયે આ દ્રશ્યો આપણે જોઈએ તો પણ આંખમાંથી આસું આવી જાય. આ ઘટના બાદ મૃતકોના સગા-સંબંધીઓનો ચહેરો એકવાર જોવા જેવો હતો.
મહત્વની વાત એ છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ જોવા મળી હતો. હાલ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવામાં આવ્યું છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે.
ગુરુવારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગની ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ઈજાગ્રસ્ત થયેલા લોકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રુપાણી અને અમદાવાદના મેયર બિજલબેન સાથે નરેન્દ્ર મોદી વાત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. સીએમ વિજય રુપાણીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમજ તપાસના રિપોર્ટ 3 દિવસમાં આપવા આદેશ કર્યો છે. તેમજ પીએમઓએ વળતર આપવાની પણ જાહેરાત કરી છે.
આ ઉપરાંત સેક્ટર-1 જેસીપી આર વી અસારીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આગ લાગવા મામલે અત્યારે એડી દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે. જે પણ ઘટનામાં તથ્ય સામે આવશે તેના આધારે તપાસ કરી ગુનો દાખલ કરી તેની તપાસ કરવામાં આવશે. જ્યારે હોસ્પિટલની બેદરકારી હતી કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.