મિત્રોએ વરમાળા પહેરાવવા માટે આદિત્ય નારાયણને ઊંચક્યો અને ત્યારે જ ફાટ્યો પાયજામો ને પછી…
મુંબઈઃ બોલિવૂડ એક્ટર-સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે પહેલી ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નમાં 150 લોકો સામેલ થયા હતા અને લગ્ન મૈથિલી રીત રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. આદિત્ય તથા શ્વેતાના લગ્ન જુહૂના ઈસ્કોન મંદિર ખાતે થયા હતા. લગ્ન બાદ આદિત્ય નારાયણે એક મીડિયા ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને લગ્ન અંગે વાત કરી હતી.
આદિત્યે કહ્યું હતું કે કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે, લગ્નમાં માત્રને માત્ર નિકટના પરિવારજનો તથા મિત્રોને જ બોલાવવામાં આવ્યા હતા. તે અને શ્વેતા છેલ્લાં ઘણાં વર્ષથી સાથે હતાં અને અંતે તેઓ એક થઈ ગયા.
વધુમાં આદિત્યે કહ્યું હતું કે જ્યારે વરમાળાનો સમય આવ્યો ત્યારે તેના મિત્રોએ તેને ઊંચકી લીધો હતો. આ દરમિયાન તેનો પાયજામો ફાટી ગયો હતો. ત્યારબાદ તેણે ફેરા ફરતાં પહેલાં મિત્રનો પાયજામો ઉધાર માગ્યો હતો અને પહેર્યો હતો. તે અને તેના મિત્રની ઊંચાઈ તથા બૉડી એક સરખી હોવાને કારણે તેને પાયજામો વ્યવસ્થિત રીતે થઈ ગયો હતો.
લગ્ન બાદ આદિત્ય પત્ની સાથે 3-4 મહિના પેરેન્ટ્સની સાથે રહેશે. ત્યારબાદ તેણે મુંબઈના અંધેરી વિસ્તારમાં 5BHKનો ફ્લેટ ખરીદ્યો છે, તેમાં અલગ રહેવા જતો રહેશે. તેનું નવું ઘર પિતાના ઘરથી માંડ ત્રણ બિલ્ડિંગ દૂર છે. એટલે તે સરળતાથી માતા-પિતાનું ધ્યાન રાખી શકશે.
આદિત્યે કહ્યું હતું કે તે નાનપણથી કામ કરે છે અને તેથી જ તેની પાસે એટલા પૈસા ભેગા થયા હતા કે તે પોતાના તથા પત્ની માટે 5BHKનો આલીશાન ફ્લેટ ખરીદી શકે. જોકે, આદિત્યે કહ્યું હતું કે તેના બેડરૂમના વોર્ડરોબના 70 ટકા ભાગમાં શ્વેતાના કપડાં રહેશે અને તે પોતાની કપડાં સહિતનો સામાન 30 ટકા હિસ્સામાં એડજસ્ટ કરી લેશે.
આદિત્યને દર અઠવાડિયે ‘ઈન્ડિય આઈડોલ’ના શૂટિંગ કરવાનું હોય છે. આથી તે એક સામટી રજા લઈ શકશે નહીં. આથી જ તે ચાર-પાંચ દિવસની રજા ત્રણથી ચાર વખત લેશે અને પછી હનીમૂન મનાવવા જશે. આદિત્ય તથા શ્વેતા સૌ પહેલાં મહરાષ્ટ્રમાં આવેલા શિલ્લીમ તથા સુલા વાઈનયાર્ડમાં જશે. ત્યારબાદ તે ગુલમર્ગ જશે. આટલું જ નહીં તે માલદીવ્સ પણ જશે.