જો તમે વીકએન્ડ કે પછી વેકેશનમાં કોઈ બીચ પર પ્રવાસ કરવાનું આયોજન કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ખાસ છે. સારા બીચની શોધમાં તમારે ગોવા સુધી લાંબા થવાની જરૂર નથી. કારણ કે ગોવાને ટક્કર આપતો એશિયાનો બીજા નંબરનો શિવરાજપુર બીચ ભારતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ બની ગયો છે. કાચ જેવા ચોખ્ખા પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો તેમને અહીં જોવા મળશે.
વાત એમ છે કે, પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ ગુજરાત રાજ્યએ મેળવ્યું છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. ભારતના આઠ બીચને એકસાથે આ સન્માન મળ્યું છે.
જેમાં શિવરાજપુર (દ્વારકા), ઘોઘલા (દીવ), કાસરકોડ અને પડુબિદરી (કર્ણાટક), કપ્પડ (કેરળ), ઋષિકોંડા (આંધ્રપ્રદેશ), ગોલ્ડન બીચ (પૂરી, ઓડિશા) અને રાધાનગર (અંદામાન નિકોબાર)નો સમાવેશ થાય છે.
ગુજરાતના આ ગૌરવશાળી બીચની ખાસિયત એવી છે કે, દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે આવલા શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન તરફથી બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે. આ બીચનો દરિયાઈકાંઠો લાંબો છે અને ક્રિસ્ટલ ક્લિયર પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો જોવા મળે છે.
બ્લ્યુ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રમાણપત્ર મળતાં શિવરાજપુર બીચ હવે વિશ્વકક્ષાએ ઓળખ પામશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી શિવરાજપુર બીચને તબક્કાવાર રીતે 1000 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વસ્તરીય વિકાસ કરવામાં આવનાર છે. માત્ર 1200 નાગરિકોની વસતિ ધરાવતા શિવરાજપુર ગામમાં બીચ અત્યંત રમણીય અને દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવા સ્વર્ગ સમાન છે.
હાલમાં શિવરાજપુર બીચ પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કે વાહન પાર્કિંગ, વોક-વે પાર્કિંગ, બાલક્રિડાંગણ, સેનીટાઈઝેશના જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે સાથે મનભરીને બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવી છે. બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે.
બીચ ઓથોરિટીએ માન્ય કરાયેલા માપદંડો અનુસાર, બ્લુ ફ્લેગ બીચ એ આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ છે, જે શિવરાજપુરને આપવામાં આવ્યું છે. બ્લુ ફ્લેગ બીચ એક સર્ટિફાઇડ પ્રોગ્રામ છે, જેમાં નક્કી થાય છે કે બીચ પૂર્ણ રૂપે સાફ અને સુરક્ષિત હોય તથા લોકોને પૂરતી સુવિધા મળી રહે, જેના કુલ 32 ક્રાઇટેરિયા હોય છે, જે પૂર્ણ થતાં એની દરખાસ્ત મૂકવામાં આવે છે. આ માટે 32 જેટલાં પેરામીટર હોય છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નક્કી કરતી હોય છે. ત્યાર બાદ એ સ્થાનને બ્લુ ફ્લેગ બીચની માન્યતા પ્રાપ્ત થાય છે.
બ્લુ ફ્લેગ એ આંતરરાષ્ટ્રીય એનજીઓ છે, જે સંસ્થાના પેરામીટર નક્કી કરે છે કે જે-તે સ્થળ સુરક્ષિત, સુંદર કેવું છે. આ એનજીઓના કુલ 32 પેરામીટર છે, જેના પર ખરા ઊતર્યા બાદ આ એનજીઓમાં દરખાસ્ત મૂકવામાં આવે છે. ચકાસણી બાદ ત્યાં બ્લુ ફ્લેગ લગાડી માન્યતા અપાય છે.